Wednesday 13 March 2013

'તમે નવરાશમાં જીવ્યાં .....અમે નવરાશથી જીવ્યાં .

આવો ગઝલને માણીએ ... હેમંત ગોહિલ 'મર્મર '

ગીત ..... આતે કૌતુક કેવું !


આતે કૌતુક કેવું  ? !
મીરાં કહે છે  મોર ચણે છે ,રાણા કહે પારેવું .

પડી નગારે ડાંડી ચહુદીશ શંખ ફૂંકાવા લાગ્યા ,
મીરાં મંદિર હાલ્યા , રાણા રણમેદાને  ભાગ્યા .
મીરાં  કહે છે ઝાલરટાણું ,રાણા કહે યુદ્ધ જેવું ......

મીરાં ચંદન ઘસતા રાણા સમજ્યા કે તલવાર્યું ,
કુમકુમ  તિલક ભાલે  કીધું રક્તબિંદુત્યાં ધાર્યું .

મીરાં  મંદિર નખશિખ નીરખે , રાણા  એવું એવું ...

રાણા  કહે  પથ્થરિયા  ગઢ મેં કોર્યા ઠામે ઠામ 
મીરાં  કહે  સાગમટે  આંગણ  આવ્યાં  શાલિગ્રામ
મીરાં  કહે વરસાદ  પડે છે  રાણા કહે છે નેવું .....

               -હેમંત ગોહિલ  'મર્મર '


ગઝલ .....

ગઝલ.... મળે છે 

મન માને કે બાગ મળે છે ,
અંદર છૂપી આગ મળે છે .

રસ્તે રાખો જાત સલામત ,
ખિસ્સે ખિસ્સે ફાગ મળે છે .

ત્રિલોક હશે ત્રણ ડગલામાં ,
વામન રૂપે માગ મળે છે .

પથ્થર ડૂબ્યા એવું બોલી :
"તરતા કોને તાગ મળે છે ?

એજ વ્યથા ગણગણવી ગમતી ,
ગમતો જયારે રાગ મળે છે .

એક વખત છેડી 'તી મહુવર ,
રોજ હજીયે નાગ મળે છે .

મોત નથી મજિયારી મિલકત ,
આખે આખો ભાગ મળે છે .
 

        - હેમંત ગોહિલ 'મર્મર '